
જ્યારે કાનજી બાપા ગામ છોડીને જતા હતા . ત્યારે પોતાના મેર યજમાનોએ તેઓને ગામ છોડી ન જવા સમજાવેલા , કીધું કે તું ગામ છોડીને જાય છે . ભામણનો દીકરો ગામ છોડીને જાય એ અમને નથી ગમતું . તુને જે ભાગ ભાઈઓ આપતા હોય એ કોઈ વાંધો વચકો કર્યા વિના લઈલે અને અમે લોકો તુને ખેતીની પેદાશમાંથી આપીએ છીએ એના કરતાં બીજાના કરતા થોડું વધારે આપીશું ,પણ ગામમાંથી તું જતો ન રહે . કાનજી બાપા વિષે તો આપે “આતાવાણી ” માં વાંચ્યું હશે . એટલે એ વિષે હું વધુ વાત ન કરતાં મેર લોકો વિષે લખવા બેઠો છું . તો તે વિષે લખીશ .
જુના વખતમાં પહેરવેશ . દેખાવ , બોલચાલ ઉપરથી આ માણસ કઈ જાતિનો છે એ ઓળખાઈ જતું .એક વખત એક ઘોડેસવાર મેર બહાર ગામ જઈ રહ્યો હતો . ત્યારે તેને તરશ લાગી હતી . કોઈ ગામના પાદરમાં પનિહારીઓ કુવા ઉપર પાણી ભરી રહી હતી .મેરે એક બાઈ પાસે પીવા માટે પાણી માગ્યું . બાઈએ પાણી પીવડાવ્યું . પાણી પી લીધા પછી મેર એ બાઈને થોડા પૈસા આપવા માંડ્યો . ત્યારે બાઈ બોલી વીરા ફક્ત મેં તુને પાણી પીવડાવ્યું. એમાં તું મનેપૈસાઆપવા બેઠો?મારાથી આવા પૈસા ન લેવાય . મેર બોલ્યો અમારા કુટુંબમાં કોઈએ મફતમાં કોઈનું ખાવા પીવાની દાનત નથી રાખી .
મેરની ભાષા ખાસ હોય છે . એ ભાષામાં તુંકારાત્મક શબ્દો જ વપરાય છે . માને , બાપને દાદાને , કે કોઈ ઓફિસરને , કે સંત મહાત્માને , તુંકારાથીજ બોલાવે , આતો જૂની વાતો છે . અત્યારે થોડો ફેર પડી ગયો છે એક ઉર્દુ શેર છે કે . रंग बदल जाते है , जज्बात बदल जाते है
वक्त पे इंसानके ख़यालात बदल जाते है जज्बात = आकर्षण
અમારા બાજુના ગામડાઓમાં વાણંદ , કુંભાર , દરજી , મોચી લુહાર . સુતાર . વગેરે ખેડૂતનું કામ કરે એને બાર મહિને ખેડૂત ખેતીની જે પેદાશ થઇ હોય એમાંથી આપે . એક મેર પોતાની ખેત પેદાશનો ઢગલો કર્યો હોય . એની પાસે ખાટલો ઢાળીને બેસે અને હોકો ગુડગુડાવે , અને જે વસવાયુ લેવા આવે એને પોતાની જાતે ન આપતાં એવું કહે કે તારે જેટલું જોઈતું હોય એટલું ઢગલામાંથી લઈજા , એક વખત એક બ્રાહ્મણ આવ્યો , એણે પછેડી પાથરીને એમાં અનાજ નાખ્યું અને પછી પોટલી બાંધીને ઉપાડવા ગયો પણ વધારે વજન હોવાથી પોટલું ઉપાડી ન શક્યો . એટલે મેરને કીધું , આમાંથી થોડુંક પાછું લઈએ લે , મેર બોલ્યો , અમારી સાત પેઢીમાં કોઈએ દીધેલાં દાન પાછાં લીધાં નથી . એટલે હું પાછું લઈને પાપ કરવા માગતો નથી . તું એ પોટકી અહીં રહેવા દે અમે ઘરે આવશું ત્યારે લેતા આવશું ,અને તારે ઘરે પહોંચતી કરી દઈશું .
મેર લોકોમાં ઘણી અટકો ગામ ઉપરથી પડેલી છે , જેવીકે રાણાવાયા , કારા વદરા , ઓડેદરા ,મોઢવાડીયા , મૈયારીયા , તરખાલા , કડ઼ેઘીયા . રાતીયા વગેરે ઉપરાંત ચાવડા , ભૂતિયા , વાઢેર જેવી અટકો પણ હોય છે ,
પોરબંદર ના મહારાણાએ અરબ ચાંચિયાથી રક્ષણ મેળવવા મારવાડથી બોલાવી વસાવ્યા છે , અને નાનજી કાલિદાસ નામના લુવાણા વેપારીએ પોતાના વિશાળ ખેતરોના ( આફ્રિકામાં મોટા ખેતરોને સાંભા કહે છે , ) આફ્રિકાની આદિ વાસી પ્રજાથી રક્ષણ મેળવવા મેર જવાનોને આફ્રિકમાં લઇ ગયેલા અને વખત જતાં મેર ની વસ્તી ઈંગ્લેન્ડમાં પણ ઘણી છે , વધુ મેરની વસ્તી લીસ્ટર ગામમાં છે ,
પોરબંદર નજીકના ગામ ઓડદરમાં સોરઠીયા રબારી ના કુળદેવી માતાનો મઢ છે . માતાના દેવસ્થાનને મંદિર ન કહેતાં મઢ કહે છે .
રબારી લોકો આખો દિવસ પોતાનાં ઘેટાં , બકરાં ચરાવવા સીમમાં હોય છે , એટલે એ તકનો લાભ લઇ લૂંટારુ સંધીઓને માતાનો મઢ લૂંટવાની ઈચ્છા થઇ . અને એક સંઘી લોકોનું ટોળું લૂંટ કરવા આવ્યું . આ વાતની જેતા નામના મેરને ખબર પડી એ કશો વિચાર કર્યા વિના ખુલ્લી તલવાર સાથે મઢની રક્ષા કરવા એકલે પંડે ઉપાડ્યો . અને તલવાર ચલાવી અને કેટલાય લૂંટારૂઓને ભોં ચાટતા કરી દીધા . આ પ્રસંગને બિરદાવતો દુહો છે કે
મઢ મેલી માતા તેનો જો તું જેતા જાત
તો તો તારો સવ (સર્વ ) ખંડ ચેરો (ટીકા ) થાત ,સૂરજ ઉગત નહિ .
અત્યારે હાલ માતાનો કોઈ તહેવાર હોય છે , ત્યારે જેતા ના પાવળિયાનું પૂજન કરવાનું રબારી ભૂલતા નથી .
જય માતાની