

જુનાગઢ જીલ્લાના ગામ હાટીના માળીયામાં હાટિ પાટીમાં ગુગા ભગત નામનો એક કુંભાર રહે . કુંભાર શબ્દ કરતાં પ્રજાપતિ સારો શબ્દ છે . એટલે કુંભાર માટે પ્રજાપતિ શબ્દ વાપરવો એ વધારે યોગ્ય છે .
શીર્ષકમાં જે” ગોરખ ધંધા” શબ્દ છે . એ ખાસતો ચાલાકી માટે છેતરપીંડી માટે વાપરવામાં આવે છે .પાકિસ્તાનના ગજલ , કવ્વાલી ગાવા વાળા “ગોરખધંધા” શબ્દ ઘણી વખત વાપરતા હોય છે . “ये कैसा गोरख धंधा है “પણ અહી આ ગોરખ ધંધા ગુગા ભગત માટે સારી સારી વાતો માટે છે . કેમકે ગુગાભગત બહુ સેવા ભાવી માણસ હતા .ગુગા ભગત કુંભાર કામ માટે બહુ કુશળ કારીગર હતા . હોકાની ચલમ આજુબાજુના કેટલાય ગામોમાં કોઈ કુંભાર ગુગા ભગત જેવી હોકાની ચલમ બનાવી નોતો શકતો .
કુંભાર કામ ઉપરાંત ગુગા ભગત વૈદું પણ કરી શકતા . તેમની કેટલીય ઓશધિઓ ગધેડાં માંથી ઉત્પન્ન થતી . ગધેડી વ્યાય ત્યારે એની જે ઓર હોય એ સુકવીને સાચવી રાખતા . કોઈને તજા ગરમી હોય એલોકો ઓરનો નાનો કકડો ઉકાળેલા પાણીથી ભરેલા વાસણમાં મૂકી એમાં અમુક સમય સુધી પગ બોળી રાખે તો એની તજાગરમી મટી જાય ગધેડીનું વ્યાયા પછી એ બચ્ચું પહેલો મળ કરે એ પણ સાચવી રાખે કોઈને મોઢામાં ચાંદી પડી હોય તો આ મળનો નાનો કકડો મોઢામાં મૂકી રાખે તો એની ચાંદી માટી જાય બચ્ચું જન્મ્યા પછી પહેલો પેશાબ કરે એ પેશાબ કુરડીમાં ભરી રાખે અને કોઈને આંખ દુ :ખતી હોય એની આંખમાં ફક્ત બેજ ટીપાં નાખવાથી આંખનો રોગ દુર થઇ જાય સ્ત્રીની આંખ માટે નર બચ્ચાનો અને પુરૂષની આંખ માટે નારી બચ્ચાના મુત્રનો ઉપયોગ કરવામાં આવે , ગધેડીનાં એક મહિનાના બચ્ચાં વાળ કાપીને સાચવી રાખવામાં આવે . અને આ વાળને તાવીજમાં મૂકી એ વાળ વાળું તાવીજ ડોકમાં પહેરવાથી અથવા બાવળા ઉપર બાંધી રાખવાથી કોઈ મુઠ ચોટ કે મેલી વિદ્યાની કોઈ અસર થાય નહિ . અને પુરુષને કોઈ ચુડેલ વળગે નહિ અને સ્ત્રીને કોઈ ભૂત વળગે નહિ .
કોઈને ભૂત કે ચુડેલ વળગી હોય તો ગુગા ભગત ધૂણીને ભૂત કે ચુડેલ ભગાડી મુકે . ગુગા ભગત હડમાન જતી કાળ ભૈરવ સિકોતર વગેરે અનેક દેવ દેવતાઓના ભુવા હતા . કોઈને અસાધ્ય રોગ હોય એ પણ મટાડી દેવાનો એનો દાવો હતો કોઈને પટમાં દર્દ થતું હોય અને ગુગા ભગત પાસે આવે એટલે ગુગા ભગત પોતાના સાત કામ પડતા મુકીને દર્દીને તપાસે દર્દીને જમીન ઉપર ચતો સુવડાવી અને પોતાના હાથ દર્દીના પેટ ઉપર મુકીને દર્દીને પૂછતાં જાય કે ક્યે ઠેકાણે દુ:ખાવો છે . ? દર્દી બતાવે કે આ ઠેકાણે મને દુ :ખે છે એ જગ્યાએ ગુગા ભગત રાખનો ચાંદલો કરી નિશાન કરે અને પછી ધગાવેલ લોખંડના સળીયાથી દામ દ્યે . ઘણી વખત એવું બને કે પેટ વાલ જેવા વાયડા કઠોળનું શાક વધુ પડતું ખાવાના કારણે પેટ દુ :ખતું હોય એતો જાજરૂ જઈ આવો એટલે મટી જતું હોય . પણ આ ગુગા ભગતના ડામ ઘડીકમાં માટે નહિ .
કોઈને સાપ કરડ્યો હોય . અને ગુગા ભગતને બોલાવી આવે ગુગો ભગત દર્દીને જુવે દર્દીની આંખો ચકળ વકળ થાતી હોય જીવવાની કોઈ આશા ન હોય તો ગુગોભગત કહે દ્યે કે આ શેષનાગના વંશનો નાગ કરડ્યો છે। એટલે ઉતરશે નહિ .
ગુગા ભગત બહુ નીચા કદના હતા . માથે મોટી પાઘડી બાંધે અને ઉંચી એડીના જોડા પહેર્યા હોય ત્યારે માંડ સાડા ચાર ફૂટ ઊંચા થાય .અને વજનમાં પણ બહુ હળવા કોક લોંઠકો માટી ફૂંક મારે તો ઉડી જાય . પણ એમના ઘરવાળાં ગુંગું પુરા સવા છ ફૂટ ઊંચા હો . વરસાદમાં ગારો કીચડ હોય ત્યારે ગુંગું ભગતને હાલવા નો દ્યે ઈતો ભગતને કાંખમાં તેડીને ચાકડા પાસે મૂકી આવે . ભગત કોઈ પાસેથી દવા દારુનાં કે મંત્ર તંત્ર નાં પૈસા નો લ્યે . ભગત કવા ક્સુમ્બાના બંધાણી ખરા હોકો ગુડ ગુડાવે જયારે કસુંબો પીધો હોય . અને બરાબર નિશામાં હોય અને પછી વાતુના તોરમાં ચડે કોક ગલઢેરા ભગતની સામે બેઠા હોય .અને વાત વહેતી કરે કે આ યુરુપીન (યુરોપીયન ) લોકુ નથી એ ગધેડીનું દૂધ પી ને મોટા થયા હોય .
જો કોઈનો વાંસો દુ :ખતો હોય અને ભગત પાસે સારવાર કરાવવા આવે તો ગુગો ભગત ઘોડાની નાળનો ડામ દ્યે હો . આવી કોઈ ક્રિયા માટે ભગત કોઈ પાસેથી એક કાવડિયું પણ લ્યે નહિ . આવા સેવા ભાવી હતા . આ આજે મેં ગુગા ભગતની ગોવરવ ગાથા પૂરી કરી .. એય રામ રામ