૯૩ વર્ષના સદાબહાર બ્લોગર અને મારા જેવા અનેકના મિત્ર શ્રી હિમતલાલ જોશી , જેઓ ‘આતા’ના હુલામણા નામે જાણીતા છે, તેઓએ એમના જીવનના અનુભવો વિશેની વાતો એમના બ્લોગમાં ઘણી લખી છે .
આ ઉપરાંત પણ મિત્રોના બ્લોગમાં કોઈ પોસ્ટ વાંચ્યા પછી એમને કોઈ વાત યાદ આવે કે તરતજ મિત્રોને ઈ-મેલ મારફતે એમના જીવનના અનુભવની વાતો ઘણીવાર લખતા હોય છે .મને ઈ-મેલમાં લખેલી આવી કેટલીક વાતો અને કાવ્યો મને ગમી જતાં ઈ-મેલના ઢગમાં ખોવાઈ જાય કે રદ થઇ જાય એ પહેલાં એક જુદી ફાઈલમાં મેં સાચવી રાખ્યાં છે .
એમાંથી આતાજીના જીવનના અનુભવની બે સત્ય ઘટનાઓ નીચે પ્રસ્તુત કરું છું.
અમેરિકામાં રહેતા કેટલાક વૃધ્ધોની દશા વિષે આતાજીને થયેલ જાત અનુભવને આવરી લેતી આ રસિક સત્ય અને પ્રેરક ઘટનાઓ તમને જરૂર ગમશે.

પાંજરા પોળ !
આ સત્ય ઘટનામાં તમે જોશો કે આતાજી વૃધ્ધાશ્રમને પાંજરાપોળ સાથે સરખાવે છે !
એક 65 વરસ જેટલી ઉમરના ભાઈ બહુ શારીરિક નબળાઈ ભોગવતા હતા પણ નોકરી કરતા હતા .મેં એમને દોઢ ડાહ્યા થઈને વણમાગી સલાહ આપી કે ભાઈ તમે ઘણું કમાયા છો. તમારી પાસે બે પૈસાનો જીવ છે .હવે તમે તમારા શરીરની કાળજી રાખો અને રીટાયર્ડ થઇ જાઓ .
તેઓ બોલ્યા “મને મારી કંપની છોડતી નથી .”
મેં એમને મારો અનુભવ કહ્યો .
મેં એને કહ્યું :” હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો .હું બહુ ભણેલો ન હોવા છતાં જવાબદારીવાળું કામ સંભાળી રહ્યો હતો .આ વખતે મારી ઉમર 63 વરસની હતી .શેઠની બહુ વિનંતીથી હું અઠવાડિયું મારા બદલે કામ કરવા આવનારને ટ્રેનીંગ આપવા રોકાએલો .અને પછી હું નિવૃત થઇ ગયો .મારી ઓછી ઉમર હોવાથી મને સોસીયલ સિક્યુરીટીના પૈસા ઓછા આવે છે પણ હું સંતોષથી રહું છું .તમે તો કોલેજના ગ્રેજ્યુએટ છો .તમારી સારી નોકરી હોવાથી તમારી પાસે ખાસ્સા પૈસા પણ જમા છે .
તેઓ એમના નાના દીકરા સાથે ન્યુ જર્સી રહેતા હતા . મોટા દીકરાએ ફોસલાવીને એમની પાસે લખાવી લીધુ કે એમના મૃત્યુ પછી તમામ પૈસા એમના મોટા દીકરાના દીકરાને મળે . નાના દીકરાને આ વાતની ખબર પડી એટલે એને થયું કે બાપને મેં મારી સાથે રાખ્યા મારા લીધે એ પૈસા બચાવી શક્યા હવે જયારે બાપા નિવૃત થઇ ગયા છે, બહુ અશક્ત થઇ ગયા છે તો હવે શા માટે મોટો ભાઈ બાપાની સેવા ન કરે ?
મોટા ભાઈએ બાપાને રાખવાની આનાકાની કરી પણ પછી સબંધીઓના સમજાવવાથી બાપાને પોતાને ઘરે લઇ જવા તૈયાર થયો અને બીજે જ દિવસે પાંજરાપોળમાં (નર્સિંગ હોમ )મૂકી દીધા . બાપા પાસે પૈસો ન હોવાથી સરકારી ખર્ચે નર્સિંગ હોમમાં રહ્યા. પાણી પેશાબ કરવાનું નાહવાનું જાતેજ કરી લેતા હતા પણ બાપાને પાંજરાપોળમાં હડસેલી દીધા અને પછી ત્યાં જ મોત આવ્યે મરી ગયા .
બીજી એક વાત કહું . એક ડોક્ટરની મા થોડાંક અશક્ત થયાં એટલે ન્યુ જર્સીના દેશી ભાષાના ડોકટરો નર્સો સાંજ સવાર પૂજા પાઠ થાય એવી પાંજરા પોળ-વૃધ્ધાશ્રમ માં માની સખત ના હોવા છતાં મૂકી આવ્યા . મા ધ્રુજતે હાથે રસોઈ પણ કરી શકતાં હતાં . પાંજરા પોળમાં ગયા પછી મા રાતે પાણીએ રોતાં હતાં . દીકરીને દયા આવી અને પોતાને ઘરે કેલીફોર્નીયા લઇ આવી. બે વરસથી દીકરીને ઘરે રહે છે. દીકરીને ઘરકામમાં મદદ પણ કરે છે .
તમે હિંમત છો, હું હિંમત નથી.
આ સત્ય ઘટના તેઓએ ડો. કનકભાઈ રાવલને ઈ-મેલમાં લખી મોકલી હતી જેની કોપી મને પણ મોકલી હતી .
પ્રિય કનક ભાઈ,
વૃધ્ધોનો ઈન્ટરવ્યું સલમાન ખાને લીધો એ જોયો .
આ દેશમાં સરકાર મદદ કરે છે તોપણ વૃદ્ધ માબાપ ગમતા નથી . ન્યુ જર્સીમાં દેશી ભાઈઓ વૃદ્ધાશ્રમ ચલાવે છે ત્યાં ડોકટરો નર્સો મંદિરો આપણાં હોય છે .એક ડોક્ટર ની માને ફિનિક્ષ્થી એ નર્સિંગ હોમમાં મૂકી આવ્યો .ઘરમાં નાનું કામ કરીને મદદ રૂપ થતી હતી છતાં નર્સિંગ હોમમાં મૂકી. ત્યાં આપણી ભાષા બોલનારા બધા હતા પણ માજી રોજ રાતડે પાણીએ રોતાં . બે કે તેથી થોડાં વધુ વરસ રહ્યાં પછી એની દીકરી પોતાને ઘરે કેલીફોર્નીયા લઇ આવી .હાલ માજી દીકરીને ત્યાં રહે છે .આનંદમાં છે .આપણાં વડીલો દીકરીને ત્યાં રહેવું પસંદ નથી કરતા પણ ન છૂટકે ક્યાં જાય .મા બાપ દીકરો પોતાને ત્યાં જન્મે એ માટે માનતા કરતા હોય છે .
એક ભાઈ ગુજરાતી એન્જીનીયર છે .અહી એણે નોકરી કરી પોતાના દીકરાને આ દેશમાં ભણાવ્યો ગણાવ્યો ભણાવી ગણાવીને બાજંદો કર્યો , પરણાવ્યો. મારી જેમ વિધુર હતો .દીકરા સાથે રહેતો હતો .એક વખત દીકરાએ કીધું હવે તમારે અમારાથી જુદા રહેવું જોઈએ, ઘણા વખત અમારે ત્યાં રહ્યા .સરકાર પાસેથી મફત પૈસા પડાવવા માટે બધું દીકરાના નામે કરી દીધેલું.
એ ભાઈ ફિનિક્ષ આવ્યા મારી ઓળખાણ થઇ .પોતે ભાડે ઘર રાખીને સ્વતંત્ર રહેતા હતા .પોતાની કાર પણ હતી. અહીના હવા પાણી ગમતાં હતાં .હજી ઉનાળો નોતો આવ્યો . એક વખત મને વાત કરી કે મને અહી નથી ગમતું કેમકે મારા અહી કોઈ ઓળખીતા નથી મિત્ર સર્કલ નથી .મેં એને સમજાવ્યો કે અહી બધું થઇ જશે .મેં એને મારો દાખલો આપ્યો . હું અહી આવ્યો ત્યારે મારો ગ્રાન્ડસન કે જેની મા અમેરિકન હતી. ફક્ત એને જ અમે ઓળખતાં હતાં અને એ કોઈ ઇન્ડિયન ને ઓળખતો નોતો અને હવે તમે જુવો છો એમ કેટલા બધા દેશી લોકો મને ઓળખે છે .
એ બોલ્યો . “તમે હિંમત છો, હું હિંમત નથી “ .
———————-
૯૩ વર્ષની પાકટ ઉંમરે આતાજી ફીનીક્ષમાં પોતાના ઘરમાં એકલા હિંમતથી અને આનંદથી પ્રવૃતિમય જીવન બસર કરે છે.
આતાજી એમના બ્લોગમાં પરિચયમાં પણ લખે છે :
“ હું પણ ૪૩ વરસથી અમેરિકામાં વસતો પણ અમેરિકન સીટીઝન ન થએલો અને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આશરે ૩૦ મીલ દુર દેશીન્ગા નામના ગામડામાં જન્મેલો ૯૩ વરસની ઉમર ભોગવી ચુકેલો દીકરાઓથી હઝારો માઈલ દુર મારા પોતાનાજ ઘરમાં એકલો રહેતો ગુજરાતી હું છું”
જુવાનને શરમાવે એવા ૯૩ વર્ષના આવા ખખડધજ્જ હિમ્મતના ભંડાર સમા હિંમતલાલ જોશી –આતાજીને સલામ !